01 June, 2020

**પ્રેમ દીવાની મીરા **


મીરા શબ્દ બોલતા જ...પ્રેમ, દીવાનગી, સમર્પણ જેવા ભાવ જાગી ઉઠે...
મીરા,આંડાલ, ગૌરાંગ, રામકૃષ્ણ પરમહંસ, નરસિંહ આ બધા તો ભક્તિમાર્ગના સર્વોચ્ચ શિખર. તેઓ ભાવ જગતમાં સતત કૃષ્ણને જોઈ શકતા , મળી શકતા, વાતો કરી શકતા. રામકૃષ્ણ પરમહંસે કહેલું કે આ વાત વૈજ્ઞાનિક માનસને થોડી વિચિત્ર લાગે પણ ભાવ જગત સત્ય છે. જેમ હવા છે પણ જોઈ ના શકાય, ઇન્ફ્રારેડ કે સૂક્ષ્મ તરંગો હોય પણ આપણી આંખ થી જોઈ ના શકાય તેવું જ સૂક્ષ્મ શરિર કે ભાવ જગતનું છે..જોઈ ના શકાય એનો મતલબ એમ નથી કે એનું અસ્તિત્વ નથી...

**મીરાનું જીવન-કવન**

મીરાનું જન્મ સ્થળ રાજસ્થાનના મેડતાથી થોડું દૂર આવેલ ગામ- કુડકી
પિતા રતનસિંહ અને માતા- કુસુમકુંવરની આ પુત્રીનું બાળપણનું નામ "પેમેલ " હતું.પણ બધા તેને મીરા નામથી જ બોલાવતા. 3-4 વર્ષે માતાનું અવસાન થયેલ અને પિતા યુદ્ધો અને રાજકાજમાં વ્યસ્ત રહેતાબ હોવાથી તેના દાદા રાય દૂદા એ તેમને મેડતા બોલાવી લીધેલા।
પિતા રતનસિંહના મોટાભાઈ વિરમદેવ અને તેની પત્નીએ મીરાને સગી પુત્રીની જેમ જ પાલન પોષણ કરેલ. મીરાએ નાનપણમાં જ શ્રીમદ્દભાગવત અને ભક્તિગ્રંથોનું અધ્યયન કરેલ. મીરાએ કાવ્ય, સાહિત્ય, સંગીતનો પણ અભ્યાસ કરેલ હશે તેવું તેના પદો પરથી સ્પષ્ટ જણાઈ આવે છે..
એવું કહેવાય છે કે એક કૃષ્ણભક્ત સાધુના આગમન વખતે તેની પાસે રહેલ ગિરિધર ગોપાલની મૂર્તિના દર્શનથી મીરાને પૂર્વજન્મની કૃષ્ણપ્રીત જાગ્રત થયેલ અને પછી તો " મેરે તો ગિરિધર ગોપાલ, દુસરો ના કોઈ " એ પ્રીત આજીવન રહી...મીરાએ સાધુ પાસેથી એ મૂર્તિ મેળવવા ખાવા પીવાનો ત્યાગ કરીને બાળહઠ કરેલ અને અંતે તે મૂર્તિ મેળવી.
અંદર છુપાયેલ સંસ્કારોને માધ્યમ મળતા જ તે બહાર આવે છે તેનું આ શ્રેષ્ઠ ઉદાહરણ છે....
મીરાના દાદા રાઠોડ રાવ દુદાની ઈચ્છાથી મીરાના લગ્ન ચિતોડના સીસોદીયા વંશના રાજા મહારાણા સંગ્રામસિંહ ( રાણાસાંગા ) ના કુંવર ભોજરાજ સાથે થયેલ. પણ મીરાને તો કૃષ્ણ સાથે જનમો જન્મની પ્રીત હતી એટલે તે સંસારી ના બની શક્યા. પણ ભોજરાજ સમજુ માણસ હતા એટલે તેણે મીરાની કૃષ્ણ પ્રીતિને સન્માન આપ્યું. અને તેની પાસેથી આદર્શ ગૃહસ્થ જીવનની કોઈ અપેક્ષા ના રાખી અને તેને ભક્તિ માટે વધુ અનુકૂળતા કરી આપેલ. બાદમા ભોજરાજે મીરાની અનુમતિથી બીજા લગ્ન પણ કરેલ..
પણ ધીરે ધીરે મીરાએ એક પછી એક - પિતા, પતિ, સસરા વગેરે જેવા આધારો ગુમાવ્યા. હવે તેની સાર સંભાળ રાખે એમ કોઈ ના હતું।.
રાણાસાંગા બાદ ચિતોડની ગાદી પર રાણા રત્નસિંહ આવેલ અને તેના મૃત્યુ બાદ રાણા વિક્રમાદિત્ય ગાદી પર આવેલ કે જેણે મીરાંને ખૂબ દુઃખો આપેલ. મીરાંએ રાણાને ઉદેશીને જે અનેક પદો રચ્યાં છે તે તેમના દિયર આ રાણા વિક્રમાદિત્ય જ..
મીરા વિધવા હોવા છતાં કૃષ્ણની પતિ માનતી, મીરા નો ભક્તિ અને સાધુ સંગ તથા બધા બંધનો છોડીને કૃષ્ણ માટે નાચવું વગેરે જેવા અનેક કારણોની કારણે રાણા, તેની માતા કર્માવતી અને બહેન ઉદાએ તેને ખુબ દુઃખ આપેલ અને અંતે તો મારી નાખવા સુધીના પ્રયાસો કરેલા.
જેમાં એક વાર ઝેરનો કટોરો મોકલેલો અને મીરા તે જાણતા હોવા છતાં પી ગયેલા ( " ઝેર તો પીધા છે જાણી જાણી, નથી રે પીધા અજાણી...ઓ મેવાડના રાણા )
બાદમાં એક કરંડિયામાં સર્પ પણ મોકલાવેલો પણ કહેવાય છે ભગવત કૃપાથી તે શાલિગ્રામ બની ગયેલ.


અંતે મીરા ચિતોડ છોડીને થોડો સમય મેડતા ગયા અને ત્યાંથી વૃંદાવન જતા રહેલા....ત્યાં તેઓ અનેક સાધુ સંતોને મળેલા. ત્યાં તેઓને ચૈતન્ય મહાપ્રભુજી( ગૌરાંગ)ના છ ગોસ્વામી પૈકી બે ગોસ્વામી - જીવ ગોસ્વામી અને રઘુનાથ ગોસ્વામી મળેલા. તેઓએ મીરાને ચૈતન્યદેવના આધ્યાત્મિક પથનો પરિચય કરાવેલો. જેમ એક સમયે કૃષ્ણ વૃંદાવન-મથુરા છોડીને દ્વારિકા ગયેલા તેમ જ મીરા પણ વૃંદાવન છોડીને અંતે દ્વારીકા આવી વસેલા. વૃંદાવન વિરહ ભૂમિ છે જ્યારે દ્વારિકા મિલન ભૂમિ છે.
આ સમયે ચિતોડમાં ઉદયસિંહ નું અને મેડતા તેના ભાઈ જયમલ નું શાશન હતું..બંનેએ સાથે મળીને મીરાને પાછા બોલાવવા ખૂબ પ્રયત્નો કરેલા. પણ મીરા " પ્રિયતમની ભૂમિમાં જ મને રહેવા દો એમ કહેતા.."
એક કથા મુજબ ચિતોડના બ્રાહ્મણોએ આવીને મીરાને કહેલું કે તમે આમારી સાથે ચિતોડ પધારો બાકી અમે અનશન કરીને દેહનો ત્યાગ કરીશું।...પણ આપણે લીધા વિના અમને પછ નહિ ફરીએ "
મીરા કહે છે દ્વારિકાનાથને પૂછ્યા વિના હું એક ડગલું પણ ના માંડું એટલે બ્રાહ્મણો એ કહ્યું તો તમે એમને પૂછી લો...
મીરા એ દિવસે સોળે શણગાર સજીને હાથમાં તાનપુરો, મંજીરા લઈને મંદિરમાં પ્રવેશ્યા...અને પદો ગાવાના શરૂ કર્યા.લોકોની ભીડ જામી હતી, મીરા એક પછી એક પદ અને રાગ છેડતા જાય છે....મીરા ભાવ જગતમાં પ્રવેશી ગયા કંઈ ભાન નથી...બસ કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ....અને દોડીને દ્વારિકાધીશની મૂર્તિને ભેટી પડયા...એ અદભૂત અલૌકિક મિલન....કહેવાય છે કે મીરા એ દિવસે એ મૂર્તિમાં સમાઈ ગયા....એક બિંદુ સાગરમાં ભળી ગયું...ખુદ સાગર થઇ ગયું....સચ્ચિદાનંદ....
આવી હતી દીવાની મીરા....
મીરાના જીવનમાં પ્રેમ, ભક્તિ, મધુરભાવ, આધ્યાત્મ, યોગ, વેદાંત આ બધાનું મિશ્રણ જોવા મળે છે....

ऐ री मैं तो प्रेम-दिवानी,
मेरो दर्द न जाणै कोय ।

** આધ્યાત્મિક વિભૂતિ- ભાણદેવ **



મોરબીના ભાણદેવનો મારા મગજમાં એક માત્ર પ્રથમ પરિચય એક લેખક તરીકેનો હતો.. અધ્યાત્મમાર્ગના યાત્રીને માર્ગદર્શક એવા તેમના ઘણા પુસ્તકો મેં ભૂતકાળમાં વાંચેલા....

હિમાલયની યાત્રા અને સ્વામી સચ્ચિદાનંદને મળ્યા બાદ ભાણદેવજી ને પણ મળવાની ઈચ્છા ખૂબ જ હતી....પણ બધું તેમના સમયે જ થાય...સમય થાય તો એ તમને સામેથી ખેંચી લે...ને જ્યારે યોગ્ય સમય થયો એટલે એણે ખેંચી પણ લીધા....

આ જ અરસામાં મેં ભાણદેવે ગોંડલના પૂ.ભાઈશ્રી નાથાલાલ જોશી પર લખેલ 4 પુસ્તકો ( રામનાથ કથામૃત) વાંચ્યા ત્યારે મને ખબર પડી કે પૂ.ભાઈ એ તો ભાણદેવના ગુરુ થાય અને ભાણદેવ 10 વર્ષ તમની સાથે રહેલા...અહા....એક ને વાંચતા વાંચતા હું પૂ.ભાઈ સુધી પહોંચી ગયો, આ પૂ. ભાઈમાં માં જગદંબાનું પ્રાગટય થયેલ. નાથાલાલ જોશી બહુ મોટી વિભૂતિ હતા. મકરંદદવે અને બીજા અસંખ્ય લોકોના ગુરુ એટલે નાથાલાલ જોશી....એના વિશે લખીએ એટલું ઓછું....

ગોંડલના પૂ. ભાઈશ્રીના ઘરની મુલાકાત પણ અમે લીધેલી અને તેની સમાધિના દર્શન પણ કરેલા..ત્યારે ત્યાંના લોકોએ ભાણદેવને યાદ કરેલા કે એ તો અહીં ઘણીવાર આવે, એ પૂ.ભાઈના શિષ્ય હતા...

કેવું આશ્ચર્ય ?? જે ભાણદેવને હું ઘણા સમયથી મળવા માંગતો હતો તેને મળતા પહેલા નિયતીએ મને તેના ગુરુને જ પહેલાં મળાવી દીધા....ધન્ય ધન્ય.....

માર્ચ-2020 શરૂઆતમાં હું અને મારી પત્ની મોરબી ગયેલા. ભાણદેવને મળવા...મોરબી પાસે જોધપર(નદી) ગામે આ આઘ્યાત્મિક વિભૂતિ ભાણદેવનો આશ્રમ આવેલો છે...

હું અને મારી પત્ની તેમેના આશ્રમને શોધતા શોધતા બપોરના સમયે તેના આશ્રમ પર પહોંચેલ, બપોરનો સમય એટલે બધું સુમસામ હતું. આશ્રમમાં કોઈ જણાતું ન હતું, અમે આમ તેમ આંટા માર્યા અને થોડા નિરાશ થયા કે ભાણદેવ નહીં મળે તો ? કારણ કે આશ્રમનો સમય 4 વાગ્યા પછીનો હતો અને અમે બપોરે આવ્યા હતા....
પણ ત્યાં જ કોઈ દાઢી વાળા સફેદ વસ્ત્રો માં સજ્જ એક પુરુષ બહાર આવ્યો, અમને પૂછ્યું કે બોલો શુ કામ છે ? આમ તો મેં કદી ભાણદેવને જોયેલા નહીં, બસ એમને વાંચ્યા જ હતા, પણ આ સજ્જનને જોઈને મને અંદર થી લાગ્યું કે આ જ ભાણદેવ હોવા જોઈએ....એટલે મેં કહ્યું આપને ખાસ મળવા માટે આવ્યા છીએ, ત્યારે એ અમને તેના રૂમમાં લઇ ગયેલા અને પછી આધ્યાત્મિક સંવાદ થયો.

મને મૂંઝવતા ઘણા આધ્યાત્મિક પ્રશ્નોના જવાબ એમણે આપેલા. તેણે અમને તેની વિશાળ લાઈબ્રેરી બતાવેલી અને અમને ચાવી સોંપીને કહ્યું કે શાંતિ થી બધા પુસ્તકો જુવો અને જે પુસ્તકો ગમેતે લઈ લો.....

એ દિવસે એમણે મને મહર્ષિ અરવિંદને વાંચવાનું કહેલ. ભાણદેવજી એ જ મહર્ષિ અરવિંદ પર લખેલ પુસ્તક મેં તેમની લાઈબ્રેરી માંથી લીધેલું અને ઘરે આવીને વાંચેલ...

અરવિંદ વિશે ઘણું સાંભળેલ પણ તેમને કદી વાંચેલ નહીં....ત્યારબાદ મહર્ષિ અરવિંદનું બૃહદ જીવનચરિત્ર પણ વાંચ્યું. ખૂબ જ મજા પડી ગઈ...

જાણે ગંગાના વિશાળ ફલોમાં વહેતા હોઈએ એવું લાગે......

મહર્ષિ અરવિંદને હું માત્ર ઇતિહાસના ભાગ રૂપે એક ક્રાંતિકારી તરીકે ઓળખાતો હતો પણ એની ગહન આધ્યાત્મિક સાધના વિશે હમણાં જ જાણ્યું...

એ ખૂબ જ બુદ્ધિશાળી હતા એમા કોઈ જ શક ના હતો. તે સ્વાતંત્રસેનાની, લેખક અને કવિ પણ ઉચ્ચ કોટિના હતા...

પણ એણે અધ્યાત્મમાં એક નવો જ આયામ આપેલ. પૂર્ણયોગ...અતિમનસની સાધના...


આધ્યાત્મના યાત્રીઓએ તેમને જરૂર વાંચવા... જોઈએ.....


**અહંકાર / અભિમાન શાનું ?**


આ સૃષ્ટિ અનંત છે. જરા કલ્પના કરીએ તો ખબર પડે કે,
આ બ્રહમાંડમાં અગણિત ગેલેકસીઓ છે.
હજારો, લાખો, કરોડો જેવા મોટા,આંકડાથી ૫ણ ગણી નથી શકાતી એટલે infinites, અગણિતની કેટેગરીમાં મુકવી પડે છે.
અને તેમા અગણિત તારા મંડળો,
એમાની માત્ર એક આ૫ણી ગેલેકસી અને
તેના અગણિત તારા મંડળોનું આ૫ણું તારામંડળ
અને તેમાં આ૫ણી એક પૃથ્વી.
આ પૃથ્વીમાં કયાં આ૫ણા ખંડ, દેશ, રાજય, શહેર,
ને આપણી શેરી..ને આ૫ણે ?
હવે જરા વિચારીએ કે આ અનંત બ્રહમાંડ સામે આ૫ણું અસ્તિત્વ શું ?
સાવ નગણ્ય.

જાણે વિશાળ સમુહના એક બૂંદનો લાખમો ભાગ,
તો સતા, પૈસા, શકિત, ૫દનું અભિમાન શાનું ?
અનંત બ્રહમાંડ પાસે આ૫ણે ભિખારી જ કહેવાઇએને ?
અભિમાન કરવું એટલે બૂંદ દરીયાને ચેલેન્જ કરે તેના જેવુ,
જે તેને ક્ષણમાં ખતમ કરી નાખે.

આતો એવું થાય કે એક અંનત ૫હાડના તળીયે એક કીડી બેઠી હોય,
ને તે પોતની મોટાઇની, પોતાના રૂ૫, રંગ વૈભવ, સતા,શક્તિનું
અભિમાન પહાડ સામે કરે....પહાડ સામે કીડીનું મૂલ્ય શું ?
કીડી પહાડને જોઇ પણ ન શકે,
આ૫ણે ૫ણ આ કીડી જેવા છીએ.
અભિમાન & અહંકાર વિસર્જન થાય તો,
બૂંદ સાગરમાં ભળી જાય તે બોલી ઉઠે કે,
હું પણ સાગરનો જ ભાગ છું.

હું કર્તા છુ તેનો , અહંકાર જ આ૫ણને ખતમ કરી નાખે છે. આ અહંકાર જ,આગળ જઇને અભિમાનમાં પરીણમે છે.
૫ણ જો ખરૂ જ્ઞાન મળે તો જાણી શકાય કે,
અરેરે ! હું તો અનંત સામે કઇ જ નથી,
હું તો કશુ જ જાણતો નથી,
હું તો ૫રમતત્વની રજ માત્ર છુ..
એટલે બઘુ જ ઓગળી જાય..
કરનાર તો એ એક...
પછી માત્ર બચે તે હશે સમર્પણ..
બઘુ એ જ કરે છે, આ૫ણે માત્ર માઘ્યમ....
પછી નદીના ફલોમાં વહેતા હોઇએ એમ લાગે....
પછી આપણે પણ અનંતમાં ભળી જઈએ અને તેનો ભાગ બની જઈએ..
પછી આનંદ જ આનંદ.....

26 February, 2020

ગીર....ગાંડી ગીર.....ખમ્મા ગીરને.....


ગીર....ગાંડી ગીર.....ખમ્મા ગીરને.....
મારો જન્મ ગિરનારભૂમિ જૂનાગઢમાં થયેલ પણ ઉછેર ગીરમાં થયેલ.....પપ્પા ગીરના તુલસીશ્યામ પાસેના ટીમ્બરવા નેસ (નાની વસાહત ) માં શિક્ષક હતા.... આ નેસમાં માત્ર -૧૫૦ લોકોની વસતી હતી. હું  નાનો હતો ત્યારે ગીરના જંગલમાં ત્યાંના માલધારી છોકરા ભેગો રખડતો, બોર વિણતો, લાકડા કાપવા જતો.....
નેસમાં વચ્ચે 2 રૂમની એક શાળા અને સામે 1 રૂમ એ અમારું ઘર. બંને વચ્ચે એક મેદાન અને ફરતે જંગલ અને ઘરની પાછળ રાવલ નદી.....વનરાજને નજરે જોયાંના ઘણા દાખલાઓ....ત્યારે બાળ માનસમાં ગીરની એટલી વેલ્યુ ન હતી. કારણ કે અમારે મન ગીર એટલે અમારું ઘર જ.....
રાત્રે 7 વાગ્યે ફોરેસ્ટનું નાકુ બંધ થઈ જતું....અને વનરાજની રાત શરૂ થતી...એવા ઘણા પ્રસંગો સ્મૃતિમાં છે જેમાં સિંહ અમારી શાળા અને ઘર વચ્ચેના મેદાનમાં બેઠા હોય....વહેલી સવારે તો કેટલાય લોકો પપ્પાને કહેવા આવતા કે સાહેબ પાછળ નદીમાં સિંહ ભેંસનું મારણ કરી રહ્યો છે...ને અમે આખો કાફલા સાથે પાછળ ઝાડીઓમાં પહોંચી જતા, ને અદભુત દ્રશ્યને આંખ રૂપી કેમેરામાં કેદ કરી લેતા...
પણ ત્યારે ડર ના હતો....એ એકદમ સ્વાભાવિક હતું.......

અમારી બાજુમાં જ ફોરેસ્ટના ક્વાર્ટર હતા. તે લોકો સાથે અમે ઘણી વાર જંગલમાં રાત્રે ગયેલ છીએ.એ  સ્મૃતિમાં હજુ પડ્યું છે...
અદભૂત ગીરની એની વાતો....સ્મૃતિ પટ પર હજુ એ કંડારાયેલ છે.....
વર્ષો બાદ આજે એ રસ્તાઓ ફરી  ખૂંદયા તો મન ભૂતકાળમાં ડોકિયું કરી આવ્યું...વાહ ગીર વાહ....તારા કારણે જ મારામાં ખુમારી આવી છે...


                                    " સોરઠ ધરા જગ જૂની, ગઢ જૂનો ગિરનાર
                                સાવજડા જેના સેંજળ પીએ, એના નમણાં નર ને નાર "

એક્સ્ટ્રા શોટ્સ -

# ગીરમાં જુનાગઢ, અમરેલી અને ગીર સોમનાથ જીલ્લાના ઘણા વિસ્તારનો સમાવેશ થાય છે...ખાસ કરીને લોકો સાસણ, કનકાઈ, તાલાલા, ગઢડા તથા ધારી-તુલાશીશ્યામ વચ્ચેની રેંજનાં ગીરના જંગલોની મુલાકાત લેતા હોય છે...

ક્યારે જવું ? - સમાન્ય રીતે ગીરમાં કોઈ પણ સીઝનમાં જઈ શકાય. સામાન્ય રીતે ગીરઈ સુકા પાનખર જંગલ છે...એટલે વનની લીલોતરીનો અદભુત અનુભવ કરવો હોય તો ચોમાસામાં મુલાકાત લઇ શકાય....પણ ગીરનાં ઘણા સ્થળોમાં પાણી ભરેલા હોય છે આથી સાવચેતી રાખીને ભારે  વરસાદના સમયમાં જવાનું ટાળવું...

ક્યા રોકાવું ? - ગીરનાં જંગલોની આસપાસના મુખ્ય સ્થળો પર હોટલ હોય જ છે...એટલે રહેવાની કોઈ તકલીફ પડે તેવું હોતું નથી.....પણ જંગલમાં ૮ વાગ્યા પછી રોકાવા પર પ્રતિબંધ હોય છે....

અન્ય શું કરવું ? - ગીરની સાચી સંસ્કૃતિ અને લોકોને જાણવા હોય તો તેના નેસની અચૂક મુલાકાત લેવી....ધ્રુવ ભટ્ટ રચિત "અકૂપાર"  ગીર પર લખયેલ સરસ નવલકથા છે....








*ઓસમ ડુંગર - એક અદ્દભૂત પ્રાકૃતિક સ્થળ*

*ઓસમ ડુંગર - એક અદ્દભૂત પ્રાકૃતિક સ્થળ*
-------------------------------------------------------
 


પહાડો પ્રત્યે મને પહેલેથી જ લગાવ છે...એટલે જ  હિમાલય, ગીરનાર, બરડો હું ફરી આવ્યો છું અને ફરી જઈશ ....હવે વારો હતો ઓસમ ડુંગરનો....હું પ્રાંત અધિકારી અને સબડીવીઝનલ મેજીસ્ટ્રેટ તરીકે કુતિયાણા હતો એટલે તરત જ મગજમાં ઓસમ ડુંગર આવ્યો....

રવિવારની સવારે અમે પોરબંદરથી ધોરાજી તાલુકાના "પાટણવાવ" ખાતે  પહોંચી ગયા, કે જ્યાં ઓસમ ડુંગર આવેલ છે. તેનું  બાહ્ય સૌન્દર્ય  જોતા જ દિલ ગાર્ડન ગાર્ડન થઇ ગયું....મોઢા માંથી જ શબ્દો નીકળ્યા .....ઓસમ.....ઓસમ.....ઓસમ.....

 ઓસમ ડુંગર પુરાણોમાં માખણીયા ડુંગર તરીકે ઓળખાતો હતો.
એક કથા મુજબ પાટણના સોલંકી વંશના રાજા સિદ્ધરાજ જયસિંહના માતા રાજમાતા મીનળદેવી આ રસ્તેથી દ્વારકા-સોમનાથ જતા હતા અને તેઓએ આ સ્થળ પર રાતવાસો કરેલ, આ રમણીય સ્થળ પર બાદમાં તેઓએ મહાદેવનું મંદિર અને વાવ બનાવેલ આથી ગામનું નામ "પાટણવાવ" પડી ગયેલ.
ગોંડલના મહારાજા ભગવતસિંહજીના અનેક મહાલો પૈકીનું એક મહાલ પાટણવાવ હતું...
પ્રકૃતિની દ્રષ્ટિએ ખૂબ સુંદર પહાડી છે....
તેના પર ઘણા ધાર્મિક-પ્રાચીન સ્થળો આવેલ છે...
-ટપકેશ્વર મહાદેવ મંદિર
-ગૌમુખી ગંગા
-માત્રી માતા મંદિર
-ધર્મનાથ મહાદેવ
-ભીમનાથ મહાદેવ, ભીમકુંડ, ભીમ કોઠો
- જૈન મંદિરો
-શાંતિ વીરડો, ભીમથાળી, કોઠારીઓના દેવશી બાપાનું મંદિર
અને અન્ય પણ ઘણા નાના સ્થળો આવેલ છે...
-અહીં ઘણી જૂની જૈન મૂર્તિઓ મળેલ છે. જે આજે જૂનાગઢ, રાજકોટ, ધોરાજીના દેરાસર ખાતે રાખવામાં આવેલ છે.....

અમે સવારથી માંડીને સાંજ સુધી આખો દિવસ આ ડુંગરની એક એક પહાડી પર ફર્યા...કુદરત જાણે નૃત્ય કરતો હોય તેમ પ્રકૃતિ ખીલી હતી....બપોરનું ભોજન પણ અમે પહાડી પર વડલા નીચે લીધું અને ઝાડ નીછે જ થોડો આરામ ફરમાવ્યો.

વળતી વેળાએ દૂરની પહાડી પરના એક જૈન મંદિર અને ભીમકુંડ સુધી ગયા....ત્યાં એક ભગત બાપુ ૧૫ વર્ષથી એકલા ભજન કીર્તન કરે છે તેની સાથે ભેટો થયો અને તેઓએ અમને ચા પીવડાવી....તેઓ અહી કેમ આવ્યા અને અહી કેમ પોતાનું ગુજરાન ચલાવે છે તેની આખી વાત કહી.....મને થયું વર્ષો બાદ હું પણ અહી જ આવી જાવ.....કુદરતના ખોળે....વળતી વેળાએ અમે ગંગાસતીના ભજન ગાતા ગાતા પહાડી પરથી નીચે ઉતર્યા ત્યારે રાત થઇ ચુકી હતી.....

આ અનોખી મુલાકાત માટે  ઈશ્વરનો મનોમન આભાર  માન્યો.....

પોતાની  જાતને રીચાર્જ કરવા એક  વાર અચૂક મુલાકાત લેવા જેવી આ જગ્યા છે......

એકસ્ટ્રા શોટ્સ -

રીતે પહોંચવું ?? - આ સ્થળ ધોરજી-ઉપલેટાથી ઘણું નજીક છે. આથી રાજકોટ/જુનાગઢ થી બસ/કાર દ્વારા  સરળતાથી જઈ શકાય છે.  

ક્યા રોકાવું ?- હાલ આ સ્થળ પર કોઈ રોકાવની સુવિધા ઉપલબ્ધ નથી..આજુ બાજુના મુખ્ય સ્થળ- ધોરાજી-ઉપલેટા-જુનાગઢમાં રોકાઈ શકાય.

અન્ય માહિતી - http://patanvav.com પર ઓસમ ડુંગરની સમગ્ર માહિતી ઉપલબ્ધ છે..







21 February, 2020

પરબ ધામ - સંત પરંપરાનું છોગું

હમણાં જુનાગઢનો  શિવરાત્રીનો  મેળો પૂરો કરીને હું અને મારી પત્ની એમ જ આયોજન વિના બસ સંત-પરપરના સ્થળોની મુલાકાત લેવું છે તેમ નક્નીકી કરીને નીકળી પડ્યા.....અને સૌથી પહેલા આવી પહોંચ્યા પરબ....ત્યારબાદ ઈશ્વરીય સંકેત મુજબ પરબથી  થી લઈને તુલસીશ્યામ અને ત્યાંથી પોરબંદર સુધીના પટ્ટા પર આવતા સંત પરંપરાના આધ્યાત્મિક સ્થળોની યાત્રા કરી....એક બાજુ ગીરનું જંગલ અને એક બાજુ ચૈતન્ય...અંતરાત્મા આનંદ વિભોર થઈ ઉઠ્યો....
સૌરાષ્ટ્રની સંત પરંપરા અદભુત છે...એમાંના એક સંત એટલે સંત દેવીદાસ. તેમણે 18મી સદીમાં પરબ ધામની સ્થાપના કરેલી....

                         


◆◆ પરબધામ વિશે◆◆
આ જગ્યા જાણે હિન્દૂ-મુસ્લિમ પરંપરાનું મિલન સ્થાન છે...અહીં પીરની દરગાહ પણ આવેલ છે. અને સંત દેવીદાસ અને અમરમાં ની સમાધિ પણ છે ગમી. હિંદુ- મુસ્લિમ બંને અહી આવે છે એ વાત જ મિલનસાર છે. થોડી વાર આંખ બંધ કરીને બેઠા ત્યારે  ચૈતન્ય સંત તત્વ આજે પણ આ જગ્યામાં અનુભવી શકાયું...


                           
સૌરાષ્ટ્રના સંતની જગ્યા હોય અને ભોજન વિના કોઈ પાછું જાય નહીં એ સૌરાષ્ટ્રની પરંપરા....
અહીંની ભોજન વ્યવસ્થા કાબિલેદાદ છે....હજારો લોકો જમવા આવે પણ મેનેજજમેન્ટ એવું અદભુત કે જરા પણ અવ્યવસ્થા ન થાય. આજુ બાજુના ગામના લોકોનો રોજ સ્વયંસેવક તરીકે વારો હોય જે નિયમિત સેવા આપે છે. તેઓનો  સેવા કરવાનો ઉત્સાહ જોતા જ આપણને જોમ ચડે કે વાહ ભાઈ વાહ.....
કલેકટર હોય કે અભણ ખેડૂત અહી  બધા એક જ પંગતમાં સાથે જમવા બેસે ને પછી થાળી જાતે ધોવાની એટલે અમીર-ગરીબના કોઈ ભેદ રહે નહીં અને આપણને પણ કોઈ અભિમાન ના રહે.
હરિ સામે તો સૌ સરખા એ સ્પષ્ટ સંદેશ આ વ્યવસ્થા આપે છે....

સૌરાષ્ટ્રની સંત પરંપરા પ્રત્યે મને ખુબ માં હતું પણ આ જગ્યાથી તેમાં ઓર વધારો થયો...મોટાભાગે લોકો જુનાગઢ ગીરનારમાં ફરવા આવે ત્યારે અહી આવતા હોય છે કારણ કે આ સ્થળ જુનાગઢ થી માત્ર ૩૫ કિમી અંતરે જ આવેલ છે....

●● સંત દેવીદાસ અને અમરમાં વિશે●●
સંત દેવીદાસે 18મી સદીમાં પરબ ધામની સ્થાપના કરેલી....દેવીદાસનો જન્મ પુંજા ભગત અને સાજણબાઈ નામના એક શ્રદ્ધાળુ રબારી દંપત્તિને ઘેર થયો હતો. સંતજીવન પૂર્વેનું નામ દેવો ભગત અથવા દેવાયત હતું. દેવીદાસ પરબધામ ખાતે રક્તપિત્તના દર્દીઓની સેવા કરી ભૂખ્યા લોકોને ભોજન આપતા હતા.
દેવા ભગતની શ્રદ્ધા અને માનવસેવાથી પ્રસન્ન થઈ ગિરનારી સંત જેરામભારથીએ દેવા રબારીમાંથી તમને દેવીદાસ નામ આપ્યું. દેવીદાસે આજુબાજુનાં ગામમાંથી ભોજન લાવવા માટે કાવડ ચાલુ કરી અને ભૂખ્યાઓને ખવડાવવા લાગ્યાં. રક્તપિત્તિયાઓને લીમડાના પાણીથી નવડાવી સેવા કરી નવું જીવન આપવા લાગ્યા.
દેવીદાસના સેવા યજ્ઞની વાત દૂર દૂરનાં ગામો સુધી પહોંચી ગઈ હતી.
અમર મા પણ તેમની સાથે સેવા કાર્યમાંજોડાયાં. અમરબાઈ આહીર જ્ઞાતિનાં હતાં અને તેઓ વીસાવદરના શોભાવડલા ગામે રહેતાં હતાં. તેના વિશે કહાની એવી છે કે લગ્ન પછી તેઓનું આણું જઈ રહ્યું હતું.
રસ્તામાં પરબધામે આ લોકો બપોરનું ભોજન કરવા માટે રોકાયા હતા. અમરમા તેમના નણંદ સાથે પરબના પીરનાં દર્શન કરવા ગયા. અમરમાએ દેવીદાસ બાપુને રક્તપિત્તના દર્દીઓની સેવા કરતા જોયા. આ જોઈ અમરમાનું મન સંસારમાંથી ઊઠી ગયું. તેઓએ પતિ સાથે જવાના બદલે પરબની જગ્યામાં રહેવાનું નક્કી કર્યુ.
દેવીદાસ બાપુએ તેમને જવા માટે બહુ મનાવ્યા પણ તેઓ માન્યા નહીં. પછી તેઓને શિષ્યા બનાવ્યાં. અમરમા ઝોળી ફેરવી દેવીદાસને મદદ કરવા લાગ્યાં. સમય જતાં દેવીદાસ બાપુએ સમાધિ લીધી. ત્યારપછી સમય જતાં અમરમાએ પણ સમાધિ લીધી હતી. જે સમાધિ આજે પણ ત્યાં હયાત છે....

એક્સ્ટ્રા શોટ્સ -

કેવી રીતે પહોંચવું ?? - જુનાગઢથી ૩૦ કિમી અંતરે છે. જુનાગઢ થી ભેસાણ જતા રોડ પર આ સ્થળ આવેલ છે. બસ કે કાર દ્વારા સહેલાઈથી પહોંચી શકાય છે....

ક્યા રોકાવું ? - અહી વિશાળ ધર્મશાળા આવેલ છે તેમાં પરિવાર સાથે રાત રોકાઈ શકાય છે...ઉપરાંત નજીકના મુખ્ય સ્થળ જુનાગઢ ખાતે પણ રોકાણ કરી શકાય છે..
                                                                                                                                                            

25 December, 2019

ધોળાવીરા - સિંધુખીણ સભ્યતાનું ગુજરાતનું સૌથી મોટુ નગર...

ધોળાવીરા ( ખદીર બેટ-પૂર્વ કચ્છ )-
સિંધુ ખીણ સભ્યતાનું ગુજરાતનું સૌથી મોટુ નગર....
ઈતિહાસનાં પ્રેમી તરીકે વર્ષોથી આ સ્થળ જોવાની ઇચ્છા હતી....પણ ખૂબ દૂર હોવાથી કદી જઇ શક્યો ન હતો. અંતે પહોચી જ ગયો...ઈતિહાસ મને બોલાવે છે....આ પહેલા આ જ સભ્પયતાનું મહાબંદર એવું લોથલ હું જોઈ ચુક્યો  હતો..

આ ઈ સમય હતો કે હું કચ્છના પ્રવાસે નીકળ્યો હતો...ભુજ, માંડવી, નખત્રાણા, માતાના મધ સુધીના પ્રદેશો અમે ખુંદી વળ્યા હતા, બસ હવે આ ખડીર બેટ અને ધોળાવીરા બાકી હતું.....અને ઈ પૂરું કરીને જ કચ્છમાંથી વિદાય  લેવું તેવું મનોમન નક્કી કરેલ....

અહીનો રસ્અતો એકદમ સુમસામ છે...ભાગ્હીયે જ કોઈ માનસ રસ્તે જોવા મળે....પણ અમે તો પહોંચી જ ગયા.... પહોંચતા જ 5000 વર્ષ પહેલાનાં ઇતિહાસનું પાનુ ખુલી જાય....સિંધુખીણની એક મહાન વિકસેલી સભ્યતા....અને તેનું આ વિકસેલું  મહાનગર....જે ઈતિહાસ હું બહ્નાવું છું તે આજે નજર સમક્ષ છે....થીયરી નહિ....પ્રેક્ટીકલ.....

અહી એક બાજુ મ્આયુઝીયમ અને એક બાજુ ધોળાવીરા ઉત્ખનન સાઈટ આવેલ છે....એક ગાઈડ અમારી સાથે આવ્યો અને તેને અમને એક એક બારીકાઇ ભરી વાતો કરી....બીજા કોઈ હોય તો એને થાય કે આ ધૂળ, પથ્થર માં શું જોવાનું ???પણ મને તો આ પથરોમાં એક  મહાન સભ્યતાના દર્શન થતા હતા.....

અન્ય હડપ્પીયન નગર કરતા આ નગર થોડુ અલગ છે.... બધાં નગરો માં બાંધકામમાં ઇંટો નો ઉપયોગ થયો છે જ્યારે અહી પથ્થરો પણ જોવા મળે છે.
હડપ્પીયન નગરો મોટા ભાગે 2 ભાગમાં (Upper town, Lower town,) જોવા મળે છે જયારે આ ત્રણ ભાગમાં છે...( Upper town, Lower town, Middle town ) જે તેની આગવી વિશેષતા છે....
5000 વર્ષ પહેલા અહી પાણીને રોકીને વિશાળ ડેમ બનાવવામાં આવેલ, સૌથી મોટો અન્ડર ગ્રાઉન્ડ વોટર ટેન્ક બનાવેલ....બોલો એ સમયે કેવી એન્જિનિયરીંગ કલા વિકસાવી હશે લોકોએ.....
સફેદ રણ પણ અહીંથી માત્ર 7 km દૂર જ છે, એટલે અમે ત્યાં પણ જઈ આવ્યા....અને અગાધ દરિયાની જેમ આ સફેદ રણને આંખોમાં સમાવી લીધું....

  ઇતિહાસ, સંસ્કૃતિ રસિકો એ ખાસ જોવા જેવી આ જગ્યાચ છે......

એક્સ્ટ્રા શોટ્સ -

કેવી રીતે પહોંચવું ? - ધોળાવીરા ખદીર બેટમાં રાપર થી આશરે ૯૦ કિમી અને ભચાઉથી આશરે ૧૪૦ કિમી અંતરે આવેલ છે....અહી બસની સુવિધા પ્રમાણમાં ઓછી હોય છે એટલે કાર દ્વારા પહોંચવું જ સરળ છે. જેથી આજુ બાજુના સ્થળો પણ જોઈ શકાય...

ક્યા રહેવું ? - ધોળાવીરામાં ગુજરાત સરકારની તોરણ હોટેલ આવેલ છે...ત્યાં સરસ રહેવા અને જમવાની સુવિધા ઉપલબ્ધ છે...

ક્યારે જવું ? - કચ્છની  ગરમીને કારણે સામાન્ય રીતે કચ્છના કોઈ પણ પ્રદેશની મુલાકાત માટે નો શ્રેષ્ટ સમય શિયાળો છે....ઓક્ટોબર થી જાન્યુઆરીમાં મુલાકાત લેવી સારી...આ સમયગાળામાં સફેદ રણ પણ ખીલેલું જોવા મળે છે...

અન્ય માહિતી -  ક્ષેત્રફળની દ્રષ્ટીએ કચ્છ ખૂબ વિશાલ છે....આથી તેના  વિવિધ વિવિધ સ્થળો વચ્ચે અંતર ખૂબ વધુ હોય છે. આથી શક્ય હોય તો ખાનગી બસ/કાર દ્વારા મુસાફરી કરીએ તો ઓછા સમયમાં ઘણા સ્થળોની મુલાકાત લઇ શકાય....