03 November, 2016

મેં વાંચેલ પુસ્તકો, કદાચ તમને પણ ગમે ( ભાગ ૧ )





કૃષ્ણલીલા રહસ્ય – સ્વામી સચ્ચિદાનંદ



આ પુસ્તકમાં તમામ લીલાનો હાર્દ આપ્યો છે. આજ સુધી આપણે જે લીલાઓને  માત્ર સ્ટોરી રૂપમાં જ કહેતા આવ્યા છીએ પણ તેની પાછળ કૈક અલગ જ રહસ્ય કે ઉદેશ છે જે આપણે જાણતા જ નથી. એટલે જ અર્થનો અનર્થ ચાલતો આવ્યો છે. એ પછી ગોપીઓના કપડાઓ લુંટવાની વાત હોય , ગોવર્ધનને ઉઠાવવાની વાત હોય, કે યમુનામાં કાલીનાગને નાથવાની વાત હોય, કે પછી શિશુપાલ વધની વાત હોય. 

આ દરેક માત્ર કહાની નથી, પણ ઊંડો અર્થ આપે છે. આ બૂક દ્વારા તમને સમજાશે કે કૃષ્ણ શું કહેવા માંગે છે ? તેનું રહસ્ય શું છે ??  અને આપણે કૃષ્ણને માત્ર ચમત્કારિક બનાવી દીધા છે. પણ વાસ્તવિકતા કૈક અલગ જ છે.

કૃષ્ણ મારી દ્રષ્ટીએ – આચાર્ય રજનીશ 



કૃષ્ણને એના વાસ્તવિક રૂપમાં ફરી ઉભા કરવાનું કામ આચાર્ય  રજનીશએ આ બુકમાં કર્યું છે. કૃષ્ણને માનતા એક એક માણસે આ પુસ્તક વાંચવું જોઈએ. તો જ કૃષ્ણ સમજાશે. 

તમારો સંપ્રદાય કદી તમને ખરા કૃષ્ણને ઓળખવા જ નહિ દે. એ તો એના વિચારો વાળો બંધક કૃષ્ણ છે. કૃષ્ણ કદી કોઈ બંધનમાં નાં રહી શકે. 

આપણે કૃષ્ણનાં એક જ પાસાને જોયું છે. એના નામના મંદિરો, સંપ્રદાયો તો ઉભા કરી દીધા છે પણ કૃષ્ણના વાસ્તવિક રૂપને, વિચારોને જાણી શક્યા નથી. 

 કૃષ્ણ મલ્ટી ડાઈમેન્શનલ છે. તે રોમાન્સ પણ કરે છે, યુદ્ધો પણ કરે છે, રાસ પણ  રમે છે, રાજનીતિ પણ કરે છે અને ગીતા જેવી ઊંડી ફિલોસોફી પણ કરી જાણે છે. એક જ માણસ આટ આટલામાં માસ્ટર હોય એ માનવું પડે. 

આપણે આપણા સ્વભાવ મુજબ કૃષ્ણના કોઈ એક રૂપને પુજીએ છીએ. એટલે જ સુરદાસના  કૃષ્ણ અલગ ( બાળકૃષ્ણ) , ગાંધીજીના કૃષ્ણ અલગ ( ગીતાના કૃષ્ણ ) , મીરાં કે નરસિંહના કૃષ્ણ અલગ ( દીવાના કૃષ્ણ) . કૃષ્ણને બધા આયામ આપણે સ્વીકારી શકતા નથી એ આપણી કમનસીબી છે. કારણ કે એ માટે જોઈએ હિમ્મત....

કૃષ્ણ બધા વૈભવમાં રહીને પણ આધ્યાત્મના, સત્યના એ સર્વોચ્ચ શિખર પર પહોંચ્યાં હતા. આવું એણે કઈ રીતે શક્ય બનાવ્યું હશે ?  શા માટે લોકોને કૃષ્ણ તરફ આકર્ષણ છે ?? 

એક માણસ તરીકે કૃષ્ણ કેવા હોઈ શકે ? એની ફિલોસોફી રજનીશે સરસ રીતે સમજાવી  છે

The Gospel of Sri RamaKrishna




 આ માણસ અદભુત છે. સ્વામી વિવેકાનંદ ને વાંચતા પહેલા રામકૃષ્ણને વાંચવા જોઈએ. આ માણસ માંથી શીખવા જેવું હોય તો તે છે.- સમર્પણ. ટોટલ ડીવોશન. 

૨૦ વર્ષની જિંદગીમાં એણે અલગ અલગ ધર્મ અને સંપ્રદાય પાળ્યા અને અનુભવ્યું કે દરેક રસ્તેથી ઈશ્વર સુધી જવાય છે. જેમ પાણી ને તમે જળ, વોટર, નીર કાઈ પણ કહી લો પણ એ છે તો H2o જ.

 વિવેકાનંદ તર્કના, થીયરીના માણસ ને રામકૃષ્ણ સમર્પણ, અનુભવના માણસ. એક સાકારમાં માને અને એક નીરાકારમાં.  એટલે જ વિવેકાનંદને રામકૃષ્ણને ગુરુ તરીકે સ્વીકારતા વર્ષો લાગેલા. પહેલી વાર એવી બન્યું હશેકે કોઈ શિષ્યએ ગુરુની વર્ષો સુધી પરીક્ષા કરી હોય. 

પણ એવું તો શું હતું રામકૃષ્ણમાં કે એક ગામડાના ૪ ચોપડી ભણેલા આ માણસને બુદ્ધિશાળી વિવેકાનંદે ગુરુ બનાવ્યા?? એ માટે આ પુસ્તક વાંચવું જ જોઈએ.

કઠ ઉપનિષદ –




યમ અને ઉદાલકનાં પુત્ર નચિકેતા નાં સંવાદ સાથે સંકળાયેલી આ કથા એક અદભુત ફિલોસોફી છે. કહાનીનાં માધ્યમથી મૃત્યના રહસ્યની વાત આ ઉપનિષદ કરે છે. 

રાજા ઉદાલક એક વિશ્વજીત યજ્ઞ કરાવે છે ત્યારે દુબળી ગાયોનું દાન કરે છે આથી તેનો પુત્ર નચિકેતા પિતાને રોકે છે. તેને સમજાવે છે કે આવી ગાયો દાનમાં આપવાથી શું થાય ? દાન તો શ્રેષ્ઠ વસ્તુઓનું અપાય. અંતે ક્રોધિત થયેલ પિતા નચિકેતાને જ મૃત્યુના દેવ- યમને દાનમાં આપે છે. 

પણ જયારે નચિકેતા યમ પાસે જાય છે તો યમ બહાર ગયા છે. અને ૩ દિવસ નચિકેતા યમલોકમાં રાહ જુવે છે. આથી પાછા ફરેલ યમદેવ, નચિકેતા ને ૩ વરદાન માંગવાનું કહે છે. આ વરદાન પર જ આખી કહાની નો આધાર છે. 

છેલ્લા વરદાનમાં નચિકેતા યમદેવ ને મૃત્યુના રહસ્ય વિષે પૂછે છે. પણ યમ તેને આ વાતના બદલામાં  જાત જાતના પ્રલાભનો આપે છે. પણ નચિકેતા એ બધાને અવગણી ને એક જ વાત કરે છે....મને મૃત્યુના રહસ્ય વિશે જ કહો. અને અંતે એક મહાન કહાની શરુ થાય છે. કારણ કે મૃત્ય વિશેની વાત, મૃત્યના દેવ સિવાય બીજું કોણ કહી શકે ??

આ આખી કહાની પ્રતીકાત્મક ( Symbolic ) છે. ૧૦૮ ઉપનિષદ માંથી આ વાંચવા જેવો અદભુત ઉપનિષદ છે.

સિદ્ધાર્થ – હરમન હેસ ( અનુવાદ – દીપક સોલિયા )




મૂળ રીતે આ જર્મન નવલકથા છે. પણ તેના નાયક સિધાર્થ દ્વારા લેખક પ્રત્યેક માણસને પોતાની કહાની સંભળાવા માંગે છે. 

માણસને અંતે જોઈએ શું ? સુખ-સફળતા-સ્વસ્થતા-શાંતિ ??

સિધાર્થ અને તેનો મિત્ર ઘર છોડીને સત્યની શોધમાં નીકળી પડે છે. પછી શું શું થાય છે ? શાશ્વત શું છે ? સત્ય શું છે ? એ કેવા કેવા બંધનોમાં ફસાય છે. ને અંતે સત્ય પાસે જ હોવા છતાં જાની નાં શકાયું
??


સુખ-દુખ, પાપ-પુણ્ય, સફળતા-નિષ્ફળતા વચ્ચે જિંદગી સતત ફંગોળાતી રહેવાની જ. આ બધા વચ્ચે માણસપોતાની શાંતિ અને સ્વસ્થતા  લઇ રીતે જાળવી શકે ? આખરે જિંદગીનો મતલબ શું ? એ આ કહાની આધ્યાત્મિક રીતે સમજાવે છે. આધુનિક બુદ્ધ સાથે આ કહાનીને જોડી શકાય

મહાભારત ( ગુજરાતી અનુવાદ ) ( કમલા સુબ્રમણ્યમ )




દુનિયાના કોઈ પણ માણસે એકવાર તો આ કથા વાંચવી જ જોઈએ. વેદવ્યાસ એ પોતાની તમામ કળા આ એક મહાકાવ્યમાં ખર્ચી નાખી હશે. 

યુગો સુધી આ કહાની ચાલતી રહેશે. કારણ કે આ માનવ સ્વભાવનું મહાકાવ્ય છે. શ્લોકરૂપે તો ધાર્મિક પુસ્તક ભંડારમાં આ બૂક મળતી જ હોય છે અને ઘરમાં પણ મંદિરના ગોખલામાં આ બૂક એમ જ પડી હોય છે. 

પણ કહાની સ્વરૂપે લખાયેલ મહાભારત વાંચવાની મજા જ કૈક ઔર છે. એ વાંચ્યા પછી જ તમે કોઈ ચર્ચામાં ઉતારશો તો તર્કનો આધાર બનશે 

મહાભારતની કહાની વિષે અહી લખવું શક્ય નથી. બસ એટલું કે એ એકવાર જરૂર વાંચવું.

 મહાભારતે તો વિદેશી લેખકોને પણ જબરા પાગલ કર્યા છે. મેક્સ મૂલર તો મહાભારત વાંચ્યાં પછી ભારતમાં એ મહાભારતના હાલના સ્થળો સ્થળો શોધવા માટે પાગલની જેમ ફરતો રેહતો હતો. દુનિયાનું ઘણું સાહિત્ય મહાભારતનો આધીન રચાયું છે. મહાભારત  પછી ભગવદગીતા વાંચવી. તો એક લીંક સરસ જોડાઈ શકશે.