13 November, 2019

બરડો ડુંગર ( જિલ્લો - પોરબંદર) -

બરડો ડુંગર ( જિલ્લો - પોરબંદર) ---






મેં જીવનમાં ખૂબ અનુભવ્યું છે કે પ્રકૃતિ આપણને ખેંચાતી હોય છે..મારું પોરબંદર ખાતેનું પોસ્ટીંગ પણ કોઈ ખેચાણ જ હશે...અને એને જ મને આ બરડા ડુંગર ખુન્દવાનો લ્હાવો આપ્યો....

રજા હોય એટલે હું ક્યાય ને ક્યાય ફરવા નીકળી પડું.. કેટલા સમયથી બરડો બોલાવતો હતો એટલે આજે મે ધીમા ધીમા વરસાદમાં બરડાની ડુંગરમાળામાં જઈ ચડ્યા...મને તો બરડો મીની ગીરનાર જેવો જ લાગે...એવું જ જંગલ, એવા જ નેસ અને એવા જ લોકો....અને ઉપરથી હું પણ ગીરનાર-જુનાગઢનો વાસી....
બરડા ડુંગરને પુરાણોમાં ‘બટુકાચળ’ કહેવામાં આવ્યો છે. ‘બટુક’ શબ્દમાંથી ‘બળવો’ અને ‘બરડો’ એવા શબ્દો ઉત્પન્ન થયાં છે.
બરડોએ ચુનાનો પથ્થર અને રેતીયાળ પથ્થરનું મિશ્રણ છે. બરડાના ઘણાં ડુંગરોમાંથી વરસાદના કારણે રેતી સરી જતાં અંદરથી પોલા બન્યાં છે. બરડો વનસ્પતિનો ભંડાર છે અને તેમાં એક સમયે બિલીના વૃક્ષો ખૂબ વધારે હતાં. આ કારણે ત્યાં આવેલા જંગલને બીલીવન, શિવલીંગને બિલેશ્વર અને તેની પાસેથી વહેતી નદીને બિલેશ્વરી કહેવામાં આવે છે.

બરડા ડુંગરમાં સિંહોની વસ્તી હતી તેવા પુરાવાઓ મળે છે. કાઠિયાવાડના પોલિટીકલ એજન્ટ જે. ટી. બાર 1860માં બરડા ડુંગરમાં આવ્યા ત્યારે તેમની છાવણી પાસે સિંહોનું ટોળુ ચડી આવેલું જેને ભગાડવા માટે તોપો ફોડવી પડેલી તેવી નોંધ નવાનગરના ગેઝેટીયરમાં મળે છે. આ પછી છેલ્લે સિંહ 1903માં જોવા મળે એવી નોંધ સૌરાષ્ટ્ર રાજ્યના સિંચાઈ ખાતાના એન્જિનિયર કૃષ્ણલાલ મહેતાએ લીધી છે. છપ્પનીયા દુકાળમાં તેનો સંપૂર્ણ નાશ થયો તેમ માનવામાં આવે છે....

પોરબંદર આવ્યા અને બરડાની મુલાકાત નાં કરી તો જોયું શું ? એવું થવું જ જોઈએ....પોરબંદરનો આત્મા બરડામાં વસે છે એમ કહું તો અતિશયોક્તિ નહી થાય....

એકસ્ટ્રા શોટ્સ - 

કેવી રીતે પહોંચવું ?? - પોરબંદર જિલ્લાનાં રાણાવાવ તાલુકામાં બરડો ડુંગર પડે છે...આથી  પોરબંદર થી ૧૦ કિમી રાણાવાવ  આવીને ભાણવડ -જામનગર તરફ જવાને રસ્તે બરડાની ડુંગરમાળામાં પ્રવેશી  શકાય.....

ક્યા રોકાવું ?  પોરબંદર અહીંથી ઘણું નજીક છે આથી પોરબંદર ખાતે  રોકાણ કરી શકાય...

અન્ય માહિતી - બરડામાં ખંભાળા ડેમ, ફોદાળાડેમ, કિલેશ્વર, આશાપુરા મંદિર, ઘુમલી મહેલ, સોન-કંસારીના દેરા વગેરે  મહત્વના સ્થળો આવેલા છે...ગીરનારની પરિક્રમા પહેલા બરડાની પણ પરિક્રમા થાય છે....પોરબંદરનાં ઈતિહાસવિદ નરોતમ પલાણનાં માર્ગદર્શન હેઠળ દર વર્ષે બરડાની યાત્રા થાય છે....