01 June, 2016

ગઝલ – ઉદભવ, ઈતિહાસ અને પરિચય



ગઝલ મૂળ રીતે ફારસી-અરબી કાવ્ય પ્રકાર છે. અને ગુજરાત માં તે ઉર્દુ ભાષા દ્વારા પ્રવેશ્યો છે.

ગઝલ ની જન્મ ભૂમિ એટલે પર્શિયા(ઈરાન). વાસ્તવિક રીતે તો ગઝલ ની પૃષ્ઠભૂમિ અરબસ્તાનમાં તૈયાર થયેલી.  આરબોએ ગદ્યનાં પ્રારંભ બાદ ગદ્યમાં પ્રાસ વાળી રચનાની શરૂઆત કરેલી. જે હાલ શેર સુધી પહોચી છે. પણ અરબસ્તાનમાં ગઝલનો કોઈ કાયમી આકાર નાં બની શક્યો.

ઇસ્લામના નાં વિકાસના તબક્કામાં આરબો એ ઈરાન પર આક્રમણ કર્યું. આથી આરબોની સંસ્કૃતિ ઈરાનમાં વિસ્તરી. અને અરબી કાવ્ય – “કસીદા “ અને “નસીબ” ઈરાન માં પ્રખ્યાત થઇ. પણ તેના વિકાસના પગલે “નસીબ” કાવ્ય પ્રકારનાં રંગ રૂપ બદલાયા અને તેને ગઝલનું રૂપ ધારણ કર્યું.

ગઝલ નો મતલબ થાય – “પ્રિયતમા ના ગીતો “. “આશિક ની વાતો”  
મિલન ની ઝંખના , વિયોગ નું દુખ , તડપ, સ્ત્રી સૌન્દર્ય એ ગઝલ નો મુખ્ય વિષય હતો. જોકે હવે આવા બંધનો રહ્યા નથી. હવે ગઝલો કોઈ પણ વિષયો સાથે છૂટથી લખાય છે.

ગઝલને સુફીઓએ પણ ઘણું મહત્વ આપ્યું છે. ગઝલમાં સુફીવાદ ભળતા તેની સુગંધ ઓર પ્રસરી.સુફીઓએ દિવ્ય પ્રેમના અને આત્મા પરમાત્માનાં અર્થમાં આશૂક-માશૂક જેવા પ્રતીકો વ્યક્ત કરી ગઝલને નવા આભૂષણો પહેરાવ્યા. પણ બાદમાં ઈરાનમાં શિયાપંથી રજાઓ આવતા, તેઓ સુફીઓને પસંદ નાં કરતા હોવાથી સૂફીઓને  કોઈ મહત્વ મળ્યું નહિ આથી આ લોકો ભારત તરફ આવ્યા અને ઈ સ્થાયી થયા. આ રીતે ભારતમાં ગઝલનો પ્રવેશ થયો અને ભારતીય સંસ્કૃતિ તેમાં ભળતા ફારસી સાહિત્યનો અનેરા રંગમાં પ્રચાર ઘણો વધ્યો.

આમિર ખુશરોને ભારતમાં ગઝલ ના આદિસર્જક કહેવાય છે. જેને અરબી, ફારસી, વ્રજ જેવી ભાષાઓમાં ગઝલો આપી છે.  ત્યારબાદ ઉર્દુ માં “મિર્ઝા ગાલીબ”, “મીર તકી મીર” જેવા મહાન  ગઝલકારો થયો. અને ગઝલનો સુવર્ણયુગ શરુ થયો.

इश्क़   ने   'ग़ालिब  निकम्मा   कर  दिया
वर्ना   हम   भी  आदमी   थे  काम    के

उनके देखे से जो आ जाती है मुँह पे रौनक
वो समझते हैं कि बीमार का हाल अच्छा है

ગુજરાત માં ઉર્દુ ગઝલ ૧૭મી સદી ના ઉતરાર્ધ માં ગઝલકાર ‘વલી’ થી શરુ થયેલી. જેનું પછી ધીરે ધીરે ગુજરાતી કરણ થવા માંડ્યું. આમ વિદેશી બીજ ગુજરાતી જમીન માં ખેડાવા લાગ્યું.

પણ શુદ્ધ ગુજરાતી માં પ્રથમ વાર ગઝલ ને આકાર આપનાર માણસ હતા – બાલા શંકર કંથારિયા  ( ઉપનામ – બાલ ) તેણે “બોધ” નામ ની પ્રથમ ગઝલ થી  ગુજરાતી ગઝલ નો ઇતિહાસ શરુ કરીને  વ્યવસ્થિત એકડો પાડ્યો એકડો પાડ્યો.

                        “ જીગરનો યાર જુદો તો બધો  સંસાર જુદો છે
                         બધા સંસારથી એ યાર બેદરકાર જુદો છે “
                                      - બાલ 
બાદમાં કલાપી, કાન્ત, મણીલાલ, સાગર, ખબરદાર  જેવા કવિઓએ ગઝલ પર હાથ અજમાવ્યો. કેશવ નાયકથી ગુજરાતી ગઝલમાં નવો વળાંક આવ્યો. ગઝલ માટે તેણે યોગ્ય વજન વાળા શબ્દોનો  ઉપયોગ શરુ કર્યો.
તેમની એક રચના-
                      “ મને વાંધો નથી વ્હાલા, હૃદયમાં ઘર કરી બેસો
                       તમારો દેશ છે  આખો, ભલેને  સર કરી બેસો “  

 ત્યારબાદ આધુનિક યુગમાં ઘાયલ , મરીઝ, આદીલ , ચિનુંમોદી, રાજેન્દ્ર શુક્લ , મનોજ ખંડેરિયા, રમેશ પારેખ, રાજેશ વ્યાસ મિસ્કીન, રઈશ મનીયાર, શૂન્ય પાલનપુરી  જેવા કવિઓએ તેને એક નવો જ રંગ , રૂપ આપ્યા ને સારા ગુજરાતી કપડા માં સજ્જ કરી.

અને હાલના આધુનિક કાળમાં તો ગુજરાતી-અંગ્રેજીના મિશ્રણ વાળી Gujlish શબ્દોની રચના વાળી ગઝલનો પણ પ્રયોગ થઇ રહ્યો છે. 

હવે, બંધારણીય દ્રષ્ટીએ ગઝલ પરિચય -

 ગઝલ એટલે કાફિયા – રદીફ ને જાળવીને , સરખા માપ ( વજન વાળા ) ચોટદાર શેરો ના સમૂહ
ગઝલના  એક એક શેરમાં અદભુત ચોટ હોઈ છે જે લોકોને ઘાયલ થી મરીઝ બનાવી દેય છે .
શેર
શેર એટલે ગઝલ ની બે પંક્તિઓનો  સમૂહ. સાદી ભાષામાં આપણે એને શાયરી કહીએ છીએ.
ગઝલ માં શેરની પંક્તિઓને  “મિસરા”  કહેવાય છે. બે મિસરા ભેગા થઈને એક શેર બને.

                      મૌતની તાકાત શી મારી શકે ? ઝીંદગી તારો ઈશારો જોઈએ
                      જેટલે  ઉંચે જવું હો  માનવી, તેટલા  ઉન્નત વિચારો જોઈએ
                                        - શૂન્ય  પાલનપુરી

                          આપી ગયો તું આંખમાં અંધાર એટલો 
                          દરિયામાં પણ ના હોય દોસ્ત ખાર જેટલો
 - ચંદ્રેશ મકવાણા

                         તારી નજરમાં ડૂબ્યાનું હજુ મને યાદ છે
                         આપણી વચ્ચે બસ આટલો જ સંવાદ છે
      -     વિવેક ટાંક

                         ખરું  કહું તો  આ કથા  મારી  નથી, 
                         છે ખરી પણ આ વ્યથા મારી નથી.
  -     વિરલ દેસાઈ

કાફિયા – શેરની બે પંક્તિઓના અંતે આવતા શબ્દોમાં  પ્રાસ મળતો હોઈ છે. આ પ્રાસ ને કાફિયા કહેવાય છે
ઉ.દા. મરીઝના ૨ શેર જોઈએ
                       આ જગતમાં પ્રેમીઓ એવા પણ આવી જાય છે,
                       જે વચન દેતા નથી  તોયે  નિભાવી  જાય છે

                       ખુદા ની જ્યારથી માની લીધી ખુદાઈને ,
                       નથી  કબુલી જગત ની કોઈ મનાઈને

અહી, પ્રથમ શેર માં ‘આવી’ -નિભાવી’  ખુદાઈને –“ મનાઈને “ એકબીજાના પ્રાસ છે જેને કાફિયા કહેવાય છે .
પણ શેરમાં ક્યારેક કાફિયા બાદ વધારાના શબ્દો કોઈપણ ફેરફાર વિના આવ્યા જ કરતા હોઈ છે આવા શબ્દો ને ‘ રદીફ ’ કહેવાય .

 પ્રથમ શેર માં à ‘જાય છે’ એ રદીફ છે.

 કાફિયા વિના શેર હોઈ શકે નહી. કાફિયા એ ગઝલમાં શેરનો શૃંગાર છે એના વિના ગઝલ સાવ નીસ્વાદ થઇ જાય. જોકે એને ગઝલ કહી જ ના શકાય.

હા , ગઝલ માં શેર ક્યારેક ‘રદીફ’ વિના હોઈ શકે છે .
ઉ.દા. તરીકે બીજા શેર માં જોશો તો દેખાશે કે તેમાં માત્ર ‘કાફિયા’ જ છે , રદીફ નથી . આવા શેર ને “હમ કાફિયા” કહેવાય

મત્લા અને મક્તા-
ગઝલ ના પ્રથમ શેર ને ‘ મત્લા’  કહેવાય છે. ગઝલ માં ‘ મત્લા’ સૌથી પ્રભાવશાલી હોઈ છે. મત્લાના બોલવા સાથે જ લોકો માં વાહ ! વાહ ! ઈર્શાદ ! ઈર્શાદ !  થઇ પડે.

ગઝલનાં  અંતિમ શેર ને ‘ મક્તા’  કહેવાય છે , જે ગઝલ નો અંત સૂચવે છે, મોટા ભાગે ગઝલકારો ‘મક્તા’ માં પોતાનું નામ કે તખલ્લુસ મુકતા હોય છે. મત્લાની જેમ  ‘મક્તા’ પણ એક ધારદાર અંત સાથે વહે છે.
ઉદા.
                       જિંદગીના રસને પીવા માં કરો જલ્દી ‘મરીઝ’
                      એક તો  ઓછી મદિરા  છે  ને ગળતું જામ છે .

તખલ્લુસ રાખવાનું કારણ કોઈ વિશેષ નથી હોતું એ એક આગવી ઓળખ બતાવે છે. ઘણા કવિઓ તખલ્લુસ થી જ પ્રખ્યાત છે
ઉ.દા. તરીકે ઘાયલ , બેફામ , આદીલ , બાલ, મરીઝ , ગની, કાન્ત, કલાપી વગેરે ...

કેટલાક કવિઓના નામ ઘણા મોટા હોઈ છે ત્યારે તે નામ નો અંત તખલ્લુસ તરીકે કરે છે
 ઉ.દા. શેબાદમ  આબુવાલ à આદમ
        મહમદ ઈકબાલ  à ઈકબાલ

તો કેટલાક તખલ્લુસ માં પોતાના જન્મ સ્થળ ને પણ દર્શાવે છે
ઉ.દા. – શૂન્ય પાલન પૂરી , સાહિર લુધિયાનવી

ગઝલ સામાન્ય રીતે ઓછા માં ઓછા ૫ શેર થી લઇ ને ૧૯-૨૦ શેર સુધીની હોઈ છે ગુજરાતી ગઝલ માં સર્વ સામાન્ય લઘુતમ સંખ્યા 5 રાખવામાં આવી છે. સમગ્ર ગઝલના સૌથી સારા/ઉતમ  શેરને  ત‘ “શાહ્બેત” કહેવાય છે
ઉ.દા. તરીકે મરીઝ ની એક ગઝલ ના શાહ્બેત જોઈએ ,

નથી એ વાત કે પહેલા સમાન પ્રીત નથી ,
મળું હું તમને તો એમાં તમારું હિત નથી,

એ મારા પ્રેમમાં જોતા રહ્યા સ્વભાવિકતા,
કે મારો હાલ જુએ છે અને ચકિત  નથી

ફના  થવાની  ઘણી રીત  છે જગતમાં
તમે પસંદ કરી છે એ સારી રીત નથી.

ગઝલનું ભવિષ્ય
ગુજરાતીમાં સવા સો વર્ષમાં ગઝલ નું ખેડાણ ખુબજ થયું હોવા છતાં એટલું મહત્વ ગઝલકારો ને મળ્યું નથી , જેટલું હિન્દી-ઉર્દુ ગઝલકારો ને મળ્યું છે.

ગઝલ પ્રખ્યાત થતી હોઈ તો તેનું મુખ્ય કારણ છે “મુશાયરા” ઓનું આયોજન, જે ગુજરાત માં હજુ એટલું ખાસ પ્રચલિત નથી.

બીજું, ગુજરાતી ગઝલોને સંગીત માં ખાસ ઢાળવામાં નથી આવી , ગુજરાત માં મનહર ઉધાસ, આશિત દેસાઈ , જેવા જુજ સંગીતકારોએ ગુજરાતી ગઝલ ને સ્વર બધ્ધ કરી લોકો સુધી પહોચાડી છે. ગુજરાતી લોકો ૧%  ગઝલ થી જાણકાર છે. તેમાં મનહર ઉધાસ ની કેસેટ નો ફાળો છે.

જયારે હિન્દી, ઉર્દુ માં જોવામાં આવે તો અસંખ્ય ગઝલ ગાયકો જોવા મળશે, જેના ખુદ મોટા સંગીત કાર્યક્રમો થતા હોઈ છે.
ઉ.દા. જગજીત સિંહ, આબિદા પરવીન, ગુલામ અલી , ચિત્ર, પંકજ ઉધાસ, ગુલામ અલી ,

આવો વર્ગ ગુજરાતમાં નથી. હા પણ ગુજરાતી ગઝલનું ભવિષ્ય ઘણું જજ ઉજ્જવળ છે . એમાં કોઈ જ બે મત નથી. 
- Vivek Tank



No comments:

Post a Comment