26 February, 2020

ગીર....ગાંડી ગીર.....ખમ્મા ગીરને.....


ગીર....ગાંડી ગીર.....ખમ્મા ગીરને.....
મારો જન્મ ગિરનારભૂમિ જૂનાગઢમાં થયેલ પણ ઉછેર ગીરમાં થયેલ.....પપ્પા ગીરના તુલસીશ્યામ પાસેના ટીમ્બરવા નેસ (નાની વસાહત ) માં શિક્ષક હતા.... આ નેસમાં માત્ર -૧૫૦ લોકોની વસતી હતી. હું  નાનો હતો ત્યારે ગીરના જંગલમાં ત્યાંના માલધારી છોકરા ભેગો રખડતો, બોર વિણતો, લાકડા કાપવા જતો.....
નેસમાં વચ્ચે 2 રૂમની એક શાળા અને સામે 1 રૂમ એ અમારું ઘર. બંને વચ્ચે એક મેદાન અને ફરતે જંગલ અને ઘરની પાછળ રાવલ નદી.....વનરાજને નજરે જોયાંના ઘણા દાખલાઓ....ત્યારે બાળ માનસમાં ગીરની એટલી વેલ્યુ ન હતી. કારણ કે અમારે મન ગીર એટલે અમારું ઘર જ.....
રાત્રે 7 વાગ્યે ફોરેસ્ટનું નાકુ બંધ થઈ જતું....અને વનરાજની રાત શરૂ થતી...એવા ઘણા પ્રસંગો સ્મૃતિમાં છે જેમાં સિંહ અમારી શાળા અને ઘર વચ્ચેના મેદાનમાં બેઠા હોય....વહેલી સવારે તો કેટલાય લોકો પપ્પાને કહેવા આવતા કે સાહેબ પાછળ નદીમાં સિંહ ભેંસનું મારણ કરી રહ્યો છે...ને અમે આખો કાફલા સાથે પાછળ ઝાડીઓમાં પહોંચી જતા, ને અદભુત દ્રશ્યને આંખ રૂપી કેમેરામાં કેદ કરી લેતા...
પણ ત્યારે ડર ના હતો....એ એકદમ સ્વાભાવિક હતું.......

અમારી બાજુમાં જ ફોરેસ્ટના ક્વાર્ટર હતા. તે લોકો સાથે અમે ઘણી વાર જંગલમાં રાત્રે ગયેલ છીએ.એ  સ્મૃતિમાં હજુ પડ્યું છે...
અદભૂત ગીરની એની વાતો....સ્મૃતિ પટ પર હજુ એ કંડારાયેલ છે.....
વર્ષો બાદ આજે એ રસ્તાઓ ફરી  ખૂંદયા તો મન ભૂતકાળમાં ડોકિયું કરી આવ્યું...વાહ ગીર વાહ....તારા કારણે જ મારામાં ખુમારી આવી છે...


                                    " સોરઠ ધરા જગ જૂની, ગઢ જૂનો ગિરનાર
                                સાવજડા જેના સેંજળ પીએ, એના નમણાં નર ને નાર "

એક્સ્ટ્રા શોટ્સ -

# ગીરમાં જુનાગઢ, અમરેલી અને ગીર સોમનાથ જીલ્લાના ઘણા વિસ્તારનો સમાવેશ થાય છે...ખાસ કરીને લોકો સાસણ, કનકાઈ, તાલાલા, ગઢડા તથા ધારી-તુલાશીશ્યામ વચ્ચેની રેંજનાં ગીરના જંગલોની મુલાકાત લેતા હોય છે...

ક્યારે જવું ? - સમાન્ય રીતે ગીરમાં કોઈ પણ સીઝનમાં જઈ શકાય. સામાન્ય રીતે ગીરઈ સુકા પાનખર જંગલ છે...એટલે વનની લીલોતરીનો અદભુત અનુભવ કરવો હોય તો ચોમાસામાં મુલાકાત લઇ શકાય....પણ ગીરનાં ઘણા સ્થળોમાં પાણી ભરેલા હોય છે આથી સાવચેતી રાખીને ભારે  વરસાદના સમયમાં જવાનું ટાળવું...

ક્યા રોકાવું ? - ગીરનાં જંગલોની આસપાસના મુખ્ય સ્થળો પર હોટલ હોય જ છે...એટલે રહેવાની કોઈ તકલીફ પડે તેવું હોતું નથી.....પણ જંગલમાં ૮ વાગ્યા પછી રોકાવા પર પ્રતિબંધ હોય છે....

અન્ય શું કરવું ? - ગીરની સાચી સંસ્કૃતિ અને લોકોને જાણવા હોય તો તેના નેસની અચૂક મુલાકાત લેવી....ધ્રુવ ભટ્ટ રચિત "અકૂપાર"  ગીર પર લખયેલ સરસ નવલકથા છે....








*ઓસમ ડુંગર - એક અદ્દભૂત પ્રાકૃતિક સ્થળ*

*ઓસમ ડુંગર - એક અદ્દભૂત પ્રાકૃતિક સ્થળ*
-------------------------------------------------------
 


પહાડો પ્રત્યે મને પહેલેથી જ લગાવ છે...એટલે જ  હિમાલય, ગીરનાર, બરડો હું ફરી આવ્યો છું અને ફરી જઈશ ....હવે વારો હતો ઓસમ ડુંગરનો....હું પ્રાંત અધિકારી અને સબડીવીઝનલ મેજીસ્ટ્રેટ તરીકે કુતિયાણા હતો એટલે તરત જ મગજમાં ઓસમ ડુંગર આવ્યો....

રવિવારની સવારે અમે પોરબંદરથી ધોરાજી તાલુકાના "પાટણવાવ" ખાતે  પહોંચી ગયા, કે જ્યાં ઓસમ ડુંગર આવેલ છે. તેનું  બાહ્ય સૌન્દર્ય  જોતા જ દિલ ગાર્ડન ગાર્ડન થઇ ગયું....મોઢા માંથી જ શબ્દો નીકળ્યા .....ઓસમ.....ઓસમ.....ઓસમ.....

 ઓસમ ડુંગર પુરાણોમાં માખણીયા ડુંગર તરીકે ઓળખાતો હતો.
એક કથા મુજબ પાટણના સોલંકી વંશના રાજા સિદ્ધરાજ જયસિંહના માતા રાજમાતા મીનળદેવી આ રસ્તેથી દ્વારકા-સોમનાથ જતા હતા અને તેઓએ આ સ્થળ પર રાતવાસો કરેલ, આ રમણીય સ્થળ પર બાદમાં તેઓએ મહાદેવનું મંદિર અને વાવ બનાવેલ આથી ગામનું નામ "પાટણવાવ" પડી ગયેલ.
ગોંડલના મહારાજા ભગવતસિંહજીના અનેક મહાલો પૈકીનું એક મહાલ પાટણવાવ હતું...
પ્રકૃતિની દ્રષ્ટિએ ખૂબ સુંદર પહાડી છે....
તેના પર ઘણા ધાર્મિક-પ્રાચીન સ્થળો આવેલ છે...
-ટપકેશ્વર મહાદેવ મંદિર
-ગૌમુખી ગંગા
-માત્રી માતા મંદિર
-ધર્મનાથ મહાદેવ
-ભીમનાથ મહાદેવ, ભીમકુંડ, ભીમ કોઠો
- જૈન મંદિરો
-શાંતિ વીરડો, ભીમથાળી, કોઠારીઓના દેવશી બાપાનું મંદિર
અને અન્ય પણ ઘણા નાના સ્થળો આવેલ છે...
-અહીં ઘણી જૂની જૈન મૂર્તિઓ મળેલ છે. જે આજે જૂનાગઢ, રાજકોટ, ધોરાજીના દેરાસર ખાતે રાખવામાં આવેલ છે.....

અમે સવારથી માંડીને સાંજ સુધી આખો દિવસ આ ડુંગરની એક એક પહાડી પર ફર્યા...કુદરત જાણે નૃત્ય કરતો હોય તેમ પ્રકૃતિ ખીલી હતી....બપોરનું ભોજન પણ અમે પહાડી પર વડલા નીચે લીધું અને ઝાડ નીછે જ થોડો આરામ ફરમાવ્યો.

વળતી વેળાએ દૂરની પહાડી પરના એક જૈન મંદિર અને ભીમકુંડ સુધી ગયા....ત્યાં એક ભગત બાપુ ૧૫ વર્ષથી એકલા ભજન કીર્તન કરે છે તેની સાથે ભેટો થયો અને તેઓએ અમને ચા પીવડાવી....તેઓ અહી કેમ આવ્યા અને અહી કેમ પોતાનું ગુજરાન ચલાવે છે તેની આખી વાત કહી.....મને થયું વર્ષો બાદ હું પણ અહી જ આવી જાવ.....કુદરતના ખોળે....વળતી વેળાએ અમે ગંગાસતીના ભજન ગાતા ગાતા પહાડી પરથી નીચે ઉતર્યા ત્યારે રાત થઇ ચુકી હતી.....

આ અનોખી મુલાકાત માટે  ઈશ્વરનો મનોમન આભાર  માન્યો.....

પોતાની  જાતને રીચાર્જ કરવા એક  વાર અચૂક મુલાકાત લેવા જેવી આ જગ્યા છે......

એકસ્ટ્રા શોટ્સ -

રીતે પહોંચવું ?? - આ સ્થળ ધોરજી-ઉપલેટાથી ઘણું નજીક છે. આથી રાજકોટ/જુનાગઢ થી બસ/કાર દ્વારા  સરળતાથી જઈ શકાય છે.  

ક્યા રોકાવું ?- હાલ આ સ્થળ પર કોઈ રોકાવની સુવિધા ઉપલબ્ધ નથી..આજુ બાજુના મુખ્ય સ્થળ- ધોરાજી-ઉપલેટા-જુનાગઢમાં રોકાઈ શકાય.

અન્ય માહિતી - http://patanvav.com પર ઓસમ ડુંગરની સમગ્ર માહિતી ઉપલબ્ધ છે..







21 February, 2020

પરબ ધામ - સંત પરંપરાનું છોગું

હમણાં જુનાગઢનો  શિવરાત્રીનો  મેળો પૂરો કરીને હું અને મારી પત્ની એમ જ આયોજન વિના બસ સંત-પરપરના સ્થળોની મુલાકાત લેવું છે તેમ નક્નીકી કરીને નીકળી પડ્યા.....અને સૌથી પહેલા આવી પહોંચ્યા પરબ....ત્યારબાદ ઈશ્વરીય સંકેત મુજબ પરબથી  થી લઈને તુલસીશ્યામ અને ત્યાંથી પોરબંદર સુધીના પટ્ટા પર આવતા સંત પરંપરાના આધ્યાત્મિક સ્થળોની યાત્રા કરી....એક બાજુ ગીરનું જંગલ અને એક બાજુ ચૈતન્ય...અંતરાત્મા આનંદ વિભોર થઈ ઉઠ્યો....
સૌરાષ્ટ્રની સંત પરંપરા અદભુત છે...એમાંના એક સંત એટલે સંત દેવીદાસ. તેમણે 18મી સદીમાં પરબ ધામની સ્થાપના કરેલી....

                         


◆◆ પરબધામ વિશે◆◆
આ જગ્યા જાણે હિન્દૂ-મુસ્લિમ પરંપરાનું મિલન સ્થાન છે...અહીં પીરની દરગાહ પણ આવેલ છે. અને સંત દેવીદાસ અને અમરમાં ની સમાધિ પણ છે ગમી. હિંદુ- મુસ્લિમ બંને અહી આવે છે એ વાત જ મિલનસાર છે. થોડી વાર આંખ બંધ કરીને બેઠા ત્યારે  ચૈતન્ય સંત તત્વ આજે પણ આ જગ્યામાં અનુભવી શકાયું...


                           
સૌરાષ્ટ્રના સંતની જગ્યા હોય અને ભોજન વિના કોઈ પાછું જાય નહીં એ સૌરાષ્ટ્રની પરંપરા....
અહીંની ભોજન વ્યવસ્થા કાબિલેદાદ છે....હજારો લોકો જમવા આવે પણ મેનેજજમેન્ટ એવું અદભુત કે જરા પણ અવ્યવસ્થા ન થાય. આજુ બાજુના ગામના લોકોનો રોજ સ્વયંસેવક તરીકે વારો હોય જે નિયમિત સેવા આપે છે. તેઓનો  સેવા કરવાનો ઉત્સાહ જોતા જ આપણને જોમ ચડે કે વાહ ભાઈ વાહ.....
કલેકટર હોય કે અભણ ખેડૂત અહી  બધા એક જ પંગતમાં સાથે જમવા બેસે ને પછી થાળી જાતે ધોવાની એટલે અમીર-ગરીબના કોઈ ભેદ રહે નહીં અને આપણને પણ કોઈ અભિમાન ના રહે.
હરિ સામે તો સૌ સરખા એ સ્પષ્ટ સંદેશ આ વ્યવસ્થા આપે છે....

સૌરાષ્ટ્રની સંત પરંપરા પ્રત્યે મને ખુબ માં હતું પણ આ જગ્યાથી તેમાં ઓર વધારો થયો...મોટાભાગે લોકો જુનાગઢ ગીરનારમાં ફરવા આવે ત્યારે અહી આવતા હોય છે કારણ કે આ સ્થળ જુનાગઢ થી માત્ર ૩૫ કિમી અંતરે જ આવેલ છે....

●● સંત દેવીદાસ અને અમરમાં વિશે●●
સંત દેવીદાસે 18મી સદીમાં પરબ ધામની સ્થાપના કરેલી....દેવીદાસનો જન્મ પુંજા ભગત અને સાજણબાઈ નામના એક શ્રદ્ધાળુ રબારી દંપત્તિને ઘેર થયો હતો. સંતજીવન પૂર્વેનું નામ દેવો ભગત અથવા દેવાયત હતું. દેવીદાસ પરબધામ ખાતે રક્તપિત્તના દર્દીઓની સેવા કરી ભૂખ્યા લોકોને ભોજન આપતા હતા.
દેવા ભગતની શ્રદ્ધા અને માનવસેવાથી પ્રસન્ન થઈ ગિરનારી સંત જેરામભારથીએ દેવા રબારીમાંથી તમને દેવીદાસ નામ આપ્યું. દેવીદાસે આજુબાજુનાં ગામમાંથી ભોજન લાવવા માટે કાવડ ચાલુ કરી અને ભૂખ્યાઓને ખવડાવવા લાગ્યાં. રક્તપિત્તિયાઓને લીમડાના પાણીથી નવડાવી સેવા કરી નવું જીવન આપવા લાગ્યા.
દેવીદાસના સેવા યજ્ઞની વાત દૂર દૂરનાં ગામો સુધી પહોંચી ગઈ હતી.
અમર મા પણ તેમની સાથે સેવા કાર્યમાંજોડાયાં. અમરબાઈ આહીર જ્ઞાતિનાં હતાં અને તેઓ વીસાવદરના શોભાવડલા ગામે રહેતાં હતાં. તેના વિશે કહાની એવી છે કે લગ્ન પછી તેઓનું આણું જઈ રહ્યું હતું.
રસ્તામાં પરબધામે આ લોકો બપોરનું ભોજન કરવા માટે રોકાયા હતા. અમરમા તેમના નણંદ સાથે પરબના પીરનાં દર્શન કરવા ગયા. અમરમાએ દેવીદાસ બાપુને રક્તપિત્તના દર્દીઓની સેવા કરતા જોયા. આ જોઈ અમરમાનું મન સંસારમાંથી ઊઠી ગયું. તેઓએ પતિ સાથે જવાના બદલે પરબની જગ્યામાં રહેવાનું નક્કી કર્યુ.
દેવીદાસ બાપુએ તેમને જવા માટે બહુ મનાવ્યા પણ તેઓ માન્યા નહીં. પછી તેઓને શિષ્યા બનાવ્યાં. અમરમા ઝોળી ફેરવી દેવીદાસને મદદ કરવા લાગ્યાં. સમય જતાં દેવીદાસ બાપુએ સમાધિ લીધી. ત્યારપછી સમય જતાં અમરમાએ પણ સમાધિ લીધી હતી. જે સમાધિ આજે પણ ત્યાં હયાત છે....

એક્સ્ટ્રા શોટ્સ -

કેવી રીતે પહોંચવું ?? - જુનાગઢથી ૩૦ કિમી અંતરે છે. જુનાગઢ થી ભેસાણ જતા રોડ પર આ સ્થળ આવેલ છે. બસ કે કાર દ્વારા સહેલાઈથી પહોંચી શકાય છે....

ક્યા રોકાવું ? - અહી વિશાળ ધર્મશાળા આવેલ છે તેમાં પરિવાર સાથે રાત રોકાઈ શકાય છે...ઉપરાંત નજીકના મુખ્ય સ્થળ જુનાગઢ ખાતે પણ રોકાણ કરી શકાય છે..